Saturday, 11 July 2015

નગર નિયોજન અને સમાજની સહભાગીતા

શીર્ષક: નગર નિયોજન અને સમાજની સહભાગીતા

(If Gujarati font is not visible or readable click: https://goo.gl/31CUnF

        ‘વિકાસ, ‘પ્રગતિ, ‘ગતિશીલતા, ‘સર્વપ્રથમ, ‘સૌથી આગળ અને એવા ખબર નહીં કેટલાય લોભામણા અને છાતીને ગદગદ ફુલાવી દે, તેવા શબ્દોના એક વિશેષ પ્રવાહથી કચ્છનું જાહેર જીવન ખદબદતું દેખાઇ રહયુ છે. આ શબ્દોના સાચા અર્થો, અહીંની પ્રજાના હકીકતના જીવનમાં ઉતર્યા છે કે કેમ, એ ઘણાય જાગૃત નાગરીકોના મનનો એક કુતુહલ ભર્યો પ્રશ્ન છે. આ પ્રશ્ન શા માટે થાય છે? ચલો, હાલ પરંતુ કદાચ ગ્રામિણ કચ્છને એક તરફ મુકીએ, પણ જયારે કચ્છના મુખ્ય મથક એવા ભુજમાં રહેતો નીવાસી ઘરની બહાર નીકળે એટલે એનું સ્વાગત એક કાંટાની જેમ ખુચતો અવ્યવસ્થા ભર્યો માહોલ કરે છે અને એ નિવાસીને આ પ્રશ્ન કરવા માટે પ્રેરે છે કે હકીકતે વિકાસ તરફ આવા અવ્યવસ્થાભર્યા માર્ગ થી જ જવાતું હશે કે કેમ? આ અવ્યવસ્થા કે જે નાગરીક શહેર ના ઘોંઘાટમાં, શાહેરની ગંદકીમાં અને એવી ઘણીય તકલીફ પંહોચાડતી બાબતોમાં અનુભવે છે. ઘરે રાત્રે ટેલિવિઝન પર આપણા રાજયના, આપણા જીલ્લા અને કદાચ આપણા શેહર વિશેના મોટા-મોટા અને ભભકાદાર વખાણો સાંભળે અને સવારે ઉઠીને ઘરની બહાર નીકળે એટલે, એજ, એક નીરાશાપુર્ણ અવ્યવસ્થિત શહેરી માહોલ અને એ કાળજાળ ગરમીથી ફેલાતો ગુસ્સો; આ સર્વે પાસાઓ જાહેર જીવનના, એવા છે કે, જે એક નીરાશાવાદી નાગરીક ને જન્મ આપે છે. નાગરીક, કે જે ગંદકીથી શહેરી સુંદરતા તરફ, અવ્યવસ્થાયી સુવ્યવસ્થા તરફ અને ઘોંઘાટથી સભ્ય સંવાદ તરફ વિચારતો હોય એને પણ નિરાશ કરી મુકે એવો કંઇક આ માહોલ છે એમ જણાય છે.
        જયારે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા” ની લોભામણી ટેલીવિઝન જાહેરાતો થી આકર્ષાઇને, અમુક દાવાઓ પ્રમાણે વિશ્વભરથી લોકો હવે કચ્છની મુલાકાત લઇ રહયા છે, ત્યારે, એવી સ્થિતિમાં, આ કચ્છના શહેરો કે જે તિથિ દેવો ભવ ની સંસ્કૃતિમાં માનવાનો દાવો કરે છે, એ કઈ રીતે આ પ્રવાસી બંધુઓનું સ્વાગત કરશે? રસ્તાઓના ખાડાથી, પાણી ભરેલ ખાબોચીયાઓથી, આડેધડ ચાલતા વહાનોથી, એ વાહનોથી સર્જાતા તુચ્છ ઘોંઘાટથી, કે પછી એ અવ્યવસ્થાના સામાનાર્થી રૂ૫ એવા વહીવટ તંત્રના મોટા-મોટા સ્લોગનો થી? કઇ રીતે? એક નીરાશ નાગરીકનો મત કંઇક એવો છે કે, આજ આ બધા પ્રવાસીઓ કદાચ એ બોલીવુડ રંગમંચના અભિનેતાના પાંચ સારા ડાઇલોગ અને બે સારી જગ્યાની ફોટોગ્રાફીથી એક વાર તો કચ્છની મુલાકાત ઉત્સાહભેર લઇ પણ લે પણ પછી? બીજી વાર આવશે? શુ કામ આવશે? એવી તો આપણે એ દુરથી આવેલા પ્રવાસીઓને શું જરૂરી સુવિધાઓ પુરી પાડીએ છીએ? કચ્છના મુખ્ય મથક ભુજના ધિકતા વિસ્તાર એવા બસ સ્ટેશનની આસપાસના બે કીલોમીટર સુઘીના વિસ્તારમાં, એક સ્વચ્છ અને યોગ્ય જાજરૂ-પેશાબની વ્યવસ્થા હજુ સુઘી આપણે ઉભી કરી શકયા નથી; તો શું અહીં હાલાકી ભોગવવા બીજીવાર પ્રવાસી આવશે? આવી ખુબ જ સામાન્ય પણ એક પ્રવાસી તેમજ કોઈ પણ શહેરના સામાન્ય નાગરીક માટે જરૂરી એવી અગત્યની આવી વ્યવસ્થાઓનો હજી કોઇ પતો નથી, તો કયા મોંઢે કચ્છ પ્રવાસીઓને બીજીવાર પધારવા માટે આગ્રહ કરશે એ વિચારણીય છે.
        એવી લોક વાયકા છે કે આપણું નેતૃત્વ કરતાં તેમજ વહીવટ ચલાવતા લોકો દેશ-વિદેશની યાત્રાઓ કરીને, સમજીને અને શીખીને આવે છે, અને કચ્છના વિકાસના કામમાં અવિરત પણે છેલ્લા કેટલાય દિવસોથી સવાયા કચ્છી ની જેમ કાર્યો કરે છે. પણ જમીનની પરિસ્થિતિ કંઇક બીજી જ છે. સત્યતો એવું જણાઈ રહયુ છે કે, દેશ વિદેશની શીખ તો છોડો આપણા દેશમાં રહેલા વ્યષ્ટિટ અઘ્યયનો (કેશ સ્ટડીઝ) ને પણ જો આપણે યોગ્ચ વિચારણા હેઠળ લઇએ તો કયાંય જવાની જરૂર નથી! અને આમેય પણ આજ-કાલ માહોલ કંઇક એવો છે કે, હવે ભારત બીજાને શીખવશે, બીજા આપણને નહી!
બઘી સમસ્યાઓના મુળમાં છે શહેરી વહીવટની કળા. અહીં એ સ્પષ્ટ રીતે નોંધવા જેવું છે કે શહેરી વહીવટએ માત્ર ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓની જ જવાબદારી નથી પણ એક-એક નાગરીકની છે. પણ હા, એ અલગ વાત છે કે, એક-એક નાગરીક શહેરના વહીવટના કાર્યમાં કઈ રીતે ભાગીદારી-સહભાગીતા આપે, એ અંગેની વ્યવસ્થા પાછી આજ ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓએ ઉભી કરવાની હોય છે.

ઉપાય: સમાજની સીધી સહભાગિતા

        જયારે “વ્યવસ્થાઓની ઉણપ”ને દુર કરવાની ચર્ચા થાય ત્યારે લોકશાહીમાં પ્રજાએ અપનાવેલા સાધનોની ગોઠવણ વિશે વાત કરવી ખુબ જરૂરી બને છે. કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ (જેને આપણે નગરપાલિકાઓ અને પંચાયતો તરીકે ઓળખીએ છીએ) એ લોકશાહી માં પ્રજાએ આપનાવેલ ઉપણ નિવારણના સાધનો છે. એ વાતમાં કોઇ બે મત નથી કે, સુશાસનમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની ભુમિકા અત્યંત નોંધપાત્ર અને મહત્વની હોય છે, પણ સ્થાનિક આકાંક્ષાઓ અને દ્રષ્ટિકોણો તથા જરૂરિયાતો અને પ્રતિભાવોમાં વિશાળ વૈવિઘ્ય હોવાને કારણે સ્થાનિક કક્ષાના સુસાશનના સંદર્ભમાં રાજય સરકારનું સીધુ સંચાલન એ કદાચ અશકય નહીં તો બહુ જ અઘરી જવાબદારી છે.
બસ આ જ અંતરાય છે કે જેના કારણે એક મજબુત સ્થાનિક સ્વરાજયની  સંસ્થાના નિર્માણ માટે ખાતરીપુર્વકનું ઉન્નત વાતાવરણ બનાવવા કદાચ, સમાજની સીધી સહભાગીતા એક માત્ર ઉપાય જણાઈ રહ્યો છે. સમાજની સીધી સહભાગિતા ને અંગ્રેજીમાં કમ્યુનીટી પાર્ટીસીપેશન/પબ્લીક પાર્ટીસીપેશન કહે છે. સમજવા માટે એ બહુ સીધી અને સરળ બાબત છે, કે સ્થાનિક પ્રશ્નોના હલ, સ્થાનિક કક્ષાએ સામનો કરવી પડતી તકલીફો તેમજ પ્રશ્નો સાથે સંકળાયેલ અન્ય શકય તમામ બાબતોનું જ્ઞાન, સ્થાનિક સમાજને હોય છે. એ કારણે જો સ્થાનિક સમાજના લોકોની સીધી સહભાગિતા વિકાસના કામોની ડિઝાઇન અને અમલીકરણમાં યોગ્ય રીતે કરાવડાવવા માં આવે, તો એ વિકાસના આ ઉધ્યગમ માટે ખુબ જ ફળદાય નિવડે.
        આ પબ્લીક પાર્ટીશીપેશન (સમાજની સહભાગીતા)ના મહત્વને સમજીને જે-તે સમયની કેન્દ્ર  સરકારે શહેરી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને નકકર સ્વરૂ૫ અને બંઘારણીય માન્યતા આપવા ૭૪-મો બંધારણીય સુધારાનો કાયદો, ૧૯૯૨ પસાર કરી, સ્થાનીક વહીવટમાં સમાજની સહભાગિતાનો માર્ગ મોકળો કર્યો હતો. કેન્દ્ર સરકારે પોતાની જવાબદારી પુરી કરી પણ સાચી કસોટી રાજય સરકારની હતી. આ બંધારણીય  સુધારા થકી કેન્દ્ર સરકારે નગર નિયોજન (ટાઉન પ્લાનીંગ), જમીન ઉપયોગના કાયદાઓ, ગટર, પાણી-પુરવઠો તેમજ, તેવા અગત્યના તમામ અઢાર વિષયો અંગેના વહીવટની જવાબદારી બંધારણની ૧૨મી સુચી દ્વારા નગરપાલિકાઓને સોંપવા માટે રાજય સરકારનો માર્ગ કાયદાકીય રીતે સરળ કરી આપ્યો હતો. પંરતુ આ અંગે રાજય સરકારે કેટલી જવાબદારીઓ ગુજરાતમાં નગરપાલિકાઓને સોંપી એ એક કુતુહલનો વિષય છે, જેની નોંધ લેવા યોગ્ય છે.
સશકિતકરણ સાથે સહભાગિતા એ લોકશાહી ઢબે સ્વરાજયની સંસ્થાઓના વહીવટ માટેનો, આજનો નહીં પણ સદીઓ જુનો, એક કાર્યદક્ષ અને સ્વીકાર્ય વિચાર છે, જે ભારત અને પશ્ચિમના દેશોમાં વર્ષો પહેલા પણ કાર્યરત હતો. પરંતુ આધુનિક ભારતના ઈતિહાસમાં વર્ષોથી ટો૫-ડાઉન” અભિગમ વહીવટી તંત્રોની કાર્યકરવાની પધ્ધ્તીની આત્મામાં રહ્યો છે. ઉપર બેઠેલા અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ નકકી કરે તે નિતિઓ અને કાર્યક્રમો સ્થાનિક કક્ષાએ લોકો પર ઠોકી બેસાળમાં આવે છે.  આ અભિગમ કે, જેને ટો૫-ડાઉન” અભિગમ કહેવાય છે, તેની હવે મોટાભાગ ની પ્રજાને કદાચ એટલી આદત પડી ગઈ છે કે મોટાભાગે પ્રજા આ અભિગમનો વિરોધ પણ કરતી નથી. બધા ટેવાઈ ગયા હોય એવું લાગે છે.
અંહીની સ્થાનિક પ્રજા આ પ્રકારના ટો૫-ડાઉન” અભિગમને પડકારવામાં, હાલમાં તો લગભગ  તત્પર દેખાતી નથી, પરંતુ ભારત દેશમાં જેના સ્થાનિક સ્વરાજયની સંસ્થાના વહીવટમાં અને નગરજનોની સુખાકારીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી માટે વખાણ થાય છે, તેવા કેરળ રાજયના નગરજનો આ અંગે કઈંક આધુનિક અભિગમ આ૫નાવે છે. તેઓ માટે રાજ્યના કોઈ પણ કક્ષાના વહીવટ માટે પબ્લીક પાર્ટીશીપેશન (સમાજની સીધી સહભાગીતા) લગભગ અનિવાર્ય જેવી છે. આ પ્રકાર ના અભિગમ ને “બોટમ-અપ” અભિગમ તરીકે લોકો ઓળખે છે. તે અભિગમને કારણે તેઓ આજે ભારતભરમાં સામાજીક પ્રગતિના શિખર પર સ્વમાનભરે ચમકી રહ્યા છે.

કેરળ: પ્રજા દ્વારા પ્રજાકીય કાર્યોનું વહીવટ

            મુખ્ય ઉદેશ્ય એવો હતો કે સ્થાનિક વહીવટની સંસ્થાઓ જેવી કે નાગરપાલીકાને સ્થાનીય વિકાસની સ્વરાજય સંસ્થાઓમાં પરિવર્તિત કરવી. આ પરિવર્તન લાવવા માટે બે પરિબળો ૫ર વજન આ૫વામાં આવ્યુ. પરિબળ 1: વહીવટની જવાબદારીઓ પૈકી મોટા ભાગની જવાબદારીઓ કાયદાકીય રીતે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને સોંપવી તથા પરિબળ 2: વહીવટ અને વિકાસના કામો અંગેની નિતિઓ અને કાર્યક્રમોની યોજનાઓમાં સમાજની સીધી સહભાગિતાના અભિગમને વધુમાં વધુ ઊત્તેજન આપવું. સર્વેના સહકાર અને સામુહીક કાર્યવાહીથી વિકાસને લગતાં પ્રશ્નોનું નિવારણ એ સમગ્ર વહીવટનું હ્દય બન્યું અને લોક ભાગીદારી/સમાજ સહભાગિતા એ વહીવટી કાર્યવાહીઓનું અવિભાજય અંગ બન્યુ.
દુરદર્શિતા અને આધુનિકતાના દર્શન કરાવતાં કેરલના રાજ્દ્વારી સમાજે બુઘ્ઘિજીઓની વાતને માન આપી, આ પ્રકારની વ્યવસ્થાને સમગ્ર રાજયમાં ઉભી કરવા માટે વર્ષ 1996 માં એક અભિયાન, ઝુંબેશના ધોરણે ઉપાડી લીધી હતી. આ અભિયાનને પીપલ્સ પ્લનીંગ કેમ્પેન તરીકે ઓળખવામાં આવે છે. પ્રજા પોતે પોતાના વિસ્તાર-શહેરનું પ્લાનીંગ કરે એ હેતુને સર કરવા ટોપ-ડાઉનઅભિગમને તિલાંજલી આપી, રાજય સરકારે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરી પ્રજાને આંમત્રણ આપ્યું કે આપ આ૫ના વિસ્તારનું પ્લાનીંગ (નિયોજન) પોતે કરો. આ અભિયાન અંતર્ગત કુલ છ ચરણો માં સમગ્ર નગરના પ્લાનીંગ ની પ્રકિયા પુર્ણ કરવા માં આવી હતી. પ્રથમ ચરણ માં નગરપાલિકાઓના ઉપયોગથી વોર્ડ કક્ષાએ નાગરીકોની બેઠકો મળી. બેઠકોમાં નાગરીકોએ પોતપોતાના પ્રશ્નો અને વિકાસ અંગેની બાબતોના ઉપાયો રજુ કર્યા. ત્યારબાદ દ્વિતીય ચરણમાં આ રજુ થયેલ બાબતોને યોગ્ય રીતે નોંધ્યા બાદ આ ઉપાયો અને અભિપ્રાયોને સંપુર્ણ મહત્વ આપી, સરકારી અધિકારીઓ અને સ્થાનિક બુઘ્ઘિજીઓની ટુકડીઓએ દરેક વોર્ડના ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કર્યા અને તે પ્લાનના અહેવાલ બનાવી તેને ડેવલોપમેન્ટ સેમિનારમાં વોર્ડ કક્ષાએ પ્રજા સમક્ષ રજૂ કર્યા. આ પ્લાન પર યોગ્ય અભિપ્રાય અને પ્રજાની સહમતિ લેવામાં આવ્યા. સ્થાનિક પ્રશ્નો અને વર્ષોથી અટવાયેલા તેમજ અન્ય વિકાસના કામો જેવા કે ગટરની લાઈનો, પાણીના પ્રશ્નો અને વિજળી અંગેની તકલીફો, એવી તમામ સ્થાનિક લોકોને પરેશાન કરતી બાબતો ને હલ કરવા અર્થે, ત્યાંની જ સ્થાનિક પ્રજા દ્વારા બતાવાયેલા ઉપાયના આધાર પર પ્રોજકેટસ તૈયાર કરવા માટે સ્પેશીયલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી; જેમાં સ્થાનિક નાગરીકો, જે તે ક્ષેત્રના નિષ્ણાતો અને એક-આદ સરકારી અધિકારને સ્થાન આપવામાં આવ્યું. આ રીતે તૃત્તીય ચરણમાં આ ટાસ્ક ફોર્સ દ્વારા વોર્ડ પ્રમાણે તમામ પ્રશ્નો ને હલ કરતાં પ્રોજેકટસ બનાવાયા અને તેના વિગતવાર અહેવાલ તૈયાર થયા. ત્યારબાદ ચોથા અને પાંચમા તબક્કામાં ચુંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા દરેક વોર્ડ તેમજ સમગ્ર શહેર માટે એક સહીયારા પ્લાનને બનાવવાનું કાર્ય શરૂ થયુ. યોગ્ય ચીવટભર્યા અવલોકનો અને વિસ્તૃત ચર્ચા બાદ, એક શહેર કક્ષાનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યો. આવા કેરળના દરેક શહેરના પ્લાનનું પીપ્લસ પ્લાનિંગ કેમ્પેન ના અંતિમ એવા છટ્ઠા ચરણમાં, ઉચ્ચ કક્ષાના ક્ષેત્ર નિષ્ણાંતો તેમજ યોજના નિષ્ણાંતો દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યુ અને યોગ્ય રીતે સરકાર દ્વારા મંજુરી આપયા બાદ અમલીકરણ કરવામાં આવ્યું.
આ તબક્કા વારની વ્યવ્સ્થાની આત્મામાં, આપ નોંધશોતો, સમાજની સહભાગીતા નો વિચાર મુખ્ય જણાશે. આ પ્રકારની વ્યવસ્થાને જો વહીવટીતંત્ર યોગ્ય રીતે કાર્યરત કરી શકે તો એને સાચા અર્થમાં સામાન્ય નાગરીકનું સશકિતકરણ કહી શકાય. શહેરના વહીવટ અને પ્લાનીંગ માટે, આવી નક્કર વ્યવ્સ્થાને કારણે વહીવટી તંત્રને પ્રશ્નો હલ કરવા માટે જરૂરી સહકાર આપો આપ નગર જનો તરફથી મળતો રહે છે. આવી વ્યવસ્થા, જેમાં પ્રશ્નો હલ કરવા માટે વહીવટ તંત્રને લોક સહકાર મળી રહે અને એક સહીયારા પ્રયાસ થકી સામુહીક કાર્યવાહી દ્વારા સરળતાં અને સફળતા પુર્વક પ્રશ્નો હલ કરી શકાય, એ જ હકીકતના લોકતંત્રને સાચી રિતે રજુ કરે છે. અહીં વહીવટી તંત્ર અને પ્રજા એકબીજાના દુસ્મનની જેમ નહીં પણ એકમેકના સહયોગીની દ્રષ્ટીએ વ્યવહાર કરે છે. આ વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે ચલાવતાં ચલાવતાં આજે કેરળ રાજય સમગ્ર દેશમાં સામાન્ય માનવીને જરૂરી એવા આધારભભૂત સરચનાઓ (ઇન્ફ્ર્રાસ્ટ્રકચર)ના ક્ષેત્રમાં એક આચરણ યોગ્ય ઉદાહરણ બન્યુ છે. જાજરૂ-પેશાબ માટેની યોગ્ય વ્યવસ્થાઓ, શહેરમાં ગંદગીને યોગ્યરીતે સાફ કરવાની પ્રાણીલીકાઓ, પાણી  અને વીજળીના વ્યવને રોકવા તેમજ તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટેના વહીવટી તંત્રોના પ્રયત્નો અને દરેક બાબતમાં નગરજનોનો સાથ વહીવટ તંત્રને પુરે-પુરો મળે, તો તેવા કીસ્સામાં એક વાર જરૂર વિચારવા યોગ્યછે કે, શહેરનો વહીવટ કેટલી પદ્ધતિસર, યોગ્ય અને કાર્યદક્ષ રીતે થતો હશે. નગરજનોનો આ સાથ કઈ રીતે મળે? એ સાથ તો જ મળે, જો વહીવટી તંત્ર વિકાસના પશ્નોના નિવારણ માટે, નિર્ણય લેતા પહેલા જ નગરજનો દ્વારા બતાવવામાં આવેલ યોગ્ય ઉપાયો અને અભિપ્રાયોને ધ્યાનમાં લે અને છેઠ અમલવારીના તબક્કા સુધી વોર્ડ કક્ષાએથી જ નગરજનો સાથે રાખે.
કેરળ રાજ્ય એ આજે સમગ્ર વિશ્વમાં કોઇ પણ પ્રકારના દંભ કે બિનજરૂરી દેખાવ કર્યા વિના એક ટુરીઝમ હબ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તે માત્ર ત્યાના આવકારતાં નાગરીકોને કારણે જ નથી ૫ણ સાથે-સાથે ત્યાંના વહીવટી તંત્રએ નગરજાનોના સાથ થકી, પ્રવાસીઓ માટે આધારભૂત સંરચનાઓ (ઈંફ્રાસ્ટ્ર્કચર) ખુજ જ સુંદર અને કાર્યદક્ષ રીતે ઉભી કરી આપી છે. આ સફળતા માત્ર વહીવટ તંત્રના પ્રયાસથી જ નહીં, પણ પ્રજા અને નગરપાલિકાઓના સહીયાર પ્રયાસથી-પબ્લીક પાર્ટીપેશનના અભિગમ  થી પ્રાપ્ત થઈ છે. કેરળની સુંદરતા, ત્યાંની સંસ્કૃતિ ઉપરાંત પ્રવાસીઓને અનુભવ થતાં આરામનો પણ કેરળના પ્રવાસનના વિકાસમાં બહુ મોટો ફાળો છે. પ્રવાસીઓને વારંવાર કેરળ ફરવા જવાની ઈચ્છા પ્રગટ કરાવવામાં શહેરની અંદર એંકદરે ઓછો ઘોંઘાટ, ઓછી ગંદકી અને કુદરતના સાનીઘ્યમાં જાણે શેહરની વચ્ચે હોઈએ એવા વાતાવરણનું નિર્માણ, ત્યાંના  લોકો અને વહીવટી તંત્રના ચીવટ ભર્યા પ્રયાસોને કારણે થઈ શકયુ છે.
સંસ્કૃતિતો કચ્છનીય જબરદસ્ત છે. લોકો તો કચ્છનાય અતિથિઓને સત્કારવામાં કોઇથી ઓછા ઉત્સાહી નથી. પણ પ્રવાસીઓને વારંવાર અહી ફરવા આવવા માટે ઉત્સુક કરવા એક રમણીય સ્થળ, એક શાંત અને આરામનો અનુભવ કરાવે તેવા શહેરોને વિકસાવવાની પણ તાતી જરૂર છે. શહેરનું પ્લાનીંગ એક એવી વિરલ વ્યવસ્થા છે કે જે સતત ચાલુ રહેતી હોય છે અને માત્ર વહીવટી તંત્ર અને ઉપર બેઠેલા જન પ્રતિનિઘિઓ કે જેમનો જમીની સત્યો સાથેનો સંપર્ક લગભગ તુટી ગયો હોય છે, તે જ જો શહેરોના પ્લાનિંગનું કાર્ય આજ રીતે ઉપરથી થોપવાના અભિગમથી કરતાં રહેશે તો તે કદાચ સંપુર્ણ રમણીય કચ્છી શહેરોના એ સ્વપ્નોને કયારેય પુર્ણ થવા દેશે નહી. જાગવા માટે સવાર જ જોઇએ તેવું જરૂરી નથી. કહેવાય છે કે જાગ્યા ત્યારથી સવાર, શહેરના બુઘ્ઘિજીવી વર્ગને અને સ્થાનિક નાગરીકોને, વહીવટી તંત્ર દ્વારા શેહરના પ્લાનીંગ (નિયોજન) અને વહીવટમાં યોગ્ય રીતે સાંકળવા માટે પ્રયત્નો ચાલુ કરી દેવાની નેમ છે. બાકી એ શબ્દો વિકાસ, સૌથી પહેલા, સૌથી મોટું અને વિકાસશીલએ બધાં માટે માત્ર એટલું જ કહેવાનું રહયું કે, ૫ડછાયા જો કદ કરતાં મોટા દેખાતાં હોય અને વાતો હેસિયત કરતાં મોટી થવા લાગતી હોય તો સમજવું કે, 'સુર્ય' અસ્ત થવાની તૈયારીમાં છે, ઉઅગમવાનીનહીં! આથી નગર વહીવટ અને નગર નિયોજનના કાર્યોમાં હવે નગરજનોને યોગ્ય રીતે સાંકળી સ્વપનોના શહેરને નક્કર સ્વરૂપ આપવાનો સમય પાકી ગયો છે; નહીંતો કયાંક આ એકવીસમી સદીના વૈશ્વિક ધબકારાઓ અને ભુતકાળના દુરંદેશી મહામાનવોના કર્મઠ પ્રયાસોને કારણે આપ મેળે વિકસતા ભારતમાં કચ્છના શહેરી જનો પાછળ ન રહી જાય!

(આ લેખ દિવ્ય ભાસ્કર સમાચાર પત્રમાં પ્રકશિત થયો છે.)
ભાગ 1: http://epaper.divyabhaskar.co.in/thumbnail/bhuj/23/07201202/0/1/ )
References:
1. Kerala’s Approach to Tourism Development: A Case Study, 2005 by CRISIL Infrastructure Advisory on behalf of the Ministry of Tourism & Culture, Government of India.
2. Human Development Report 2005 Published by State Planning Board, Government of Kerala.

3. Kerala – A case study of Classical democratic decentralization, 2009 Published by Kerala Institute of Local Administration (KILA), Principal Secretary to Govt. Local Self Government Department Government of Kerala, for submission to the XIIIth finance commission.

No comments:

Post a Comment