Tuesday, 6 September 2016

જૈનિક મુલ્યો અને ‘સોશિયલ સોપારી'

જૈનિક મુલ્યો અને ‘સોશિયલ સોપારી’
લેખક: રાજન ડી. મોરબીઆ
યોજના નિષ્ણાત (ક્ષેત્રિય યોજના)
ઈજનેરી સ્નાતક (સિવિલ ઈજનેરી)
( પીડીએફ ફાઈલનો ઉપયોગ કરી વાંચવા માટે અંહી ક્લીક કરવા વિંનતી છે.)

આ દશકાના યુવાનો માટે કદાચ આ ખુબ જ મહત્વનો સમય ચાલી રહ્યો છે. દેશથી સંકળાયેલ ઘણા બધાં વિચારો પર અત્યારે ખુબ જ જરૂરી એવી ચર્ચા ચાલી રહી છે. ‘યુવાન જોશ’ જેને કહી શકાય, તેવા જોશથી, આ ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચામાં આજકાલ સંભળાતા મુખ્ય શબ્દો ‘દેશ ભક્ત’ અને ‘દેશ દ્રોહી’ છે. આ અંગે ચર્ચા દરેક ફલક પર અગત્યની જણાય છે. આગેવાનોથી લઈ ને દેરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ વિચારો-મંતવ્યોની આહુતિ આ યજ્ઞમાં આપી રહ્યા છે. અત્રે આ લેખ આપને અમુક એવી બાબતોથી અવગત કરાવવા ઈચ્છે છે જેની ચર્ચા તમને કદાચ એટલાં ટકોર બંધ રીતે સમાચાર માધ્યમો અને ચિંતનોમાં જણાતી નહીં હોય. જૈનિક મુલ્યોના પરિદર્શથી ચર્ચા કરવાનો પ્રયત્ન છે.


શું નક્કી કરવું છે?
વૈચારીક આબોહવામાં એક અજીબ સળવળાટ દેખાઈ રહ્યો છે. એમ લાગી રહ્યું છે કે હવે એક ‘સર્ટીફીકેટ’ આપવાની તેમજ લેવાની દોટ મુકાઈ છે. ખાસ કરીને વૈચારીક આબોહાવાનું આજના જમાનાનું સૈથી ભારી ઘટક એવા ઈંટરનેટની દુનિયાના શ્વાસ સમા ‘સોશિયલ મિડીયા’ પર તો આ પ્રવૃતિએ જબરદસ્ત વેગ પકડ્યો છે. આ વેગ ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં બધુ પોષણ પ્રાપ્ત કરતું હોય તેમ જણાય છે. શેના ‘સર્ટીફીકેટ’ લેવાની અને આપવાની વાત ચાલે છે? ‘સોશિયલ મિડીયા’ ની બજારમાં બે મુખ્ય ‘સર્ટીફીકેટ’ મળે તેમ છે- 1) ‘આપ દેશદ્રોહી છો.’ 2) ‘આપ દેશભક્ત છો’! હા, આવું જ કઈંક આજકાલ ઘણાંને નક્કી કરવું હોય છે. હાસ્યાસ્પદ છે. પણ થોભજો! હાસ્યાસ્પદ સમજીને અવગણી ન દેજો! અહીં એક ગંભીર, કદાચ ન વિચારી સકાય તેટલી ગંભીર ચાયણી છે જેમાથી આ વિચારો પસાર થઈ ને આવી રહ્યા છે અને એ છે – ધર્મ અને જાતિ. આથી વિવેચના ગંભીરપણે કરવી જરૂરી બની જાય છે. આ પ્રવૃત્તિમાં ભાગ લેનાર ત્રણ સમુહો છે- પહેલો સમુહ કે જે ભિન્ન ભિન્ન આ ‘સર્ટીફીકેટ’ આપે છે. બીજો સમુહ કે જે આ અપાયેલ ‘સર્ટીફીકેટ’ પર પ્રતિક્રિયા અલગ અલગ માધ્યમો પર, ખાસ કરીને ‘સોશિયલ મિડીયા’ પર રજુ કરે છે અને ત્રીજું સમુહ કે જે આ ઘટના ‘લાઈક’, ‘શેર’ કરી કે મુક પ્રેક્ષક તરીકે નિહાળીને જેઓ શરાહના કરી રહ્યા છે. બીજા ને ત્રીજા સમુહમાં ઘણાં લોકો છે જેમના માનસ વિશેની ચર્ચા કરવી યોગ્ય બને છે.

‘અણુવ્રત’ અને સોશિયલ મિડીયા પર થતી માનસિક ક્રિયા
બહુ લાંબુ કઈ ચર્ચયા વિના અહીં માત્ર જૈન અનુયાયીની આત્મા સાથે સંકળાયેલ ‘અણુવ્રત’ની વાત કરવા જેવી જણાય છે. તે પૈકી મુખ્યત્વે ત્રણ અણુવ્રતને સંદર્ભમાં લેવા જેવા છે- ‘સત્ય’, ‘અહિંસા’ અને ‘અપરિગ્રહ’. યોગ્ય શાસ્ત્રોને જાણતા એમ આદેશ મળે છે કે જૈન અનુયાયી તરીકે કોઈ પણ પ્રકારે મન, વચન કે કાયાથી હિંસાનો પ્રચાર નિષેધ છે. હવે યાદ કરો એ ક્ષણ જ્યારે આપના મિત્રો-સગા-સબંધી આપના વોટ્સઅપ મેસેંજર પર-આપની ફેસબુક વોલ પર, લખાણો, પોસ્ટર અને વિડીઓઝ શેયર કરે છે અને આપ તેને જુઓ છો-વાંચો છો! એક માનસિક ક્રિયા થાય છે. તમે તેને મોટા ભાગે આગળ ધપાવો છો. અન્ય વોટ્સઅપ ગ્રુપ કે ફેસબુક પર શેયર કરો છો. શું લાગે છે? શું આપે કોઈ અણુવ્રતનું અપમાન કર્યું છે કે કેમ? ચકાસસો તો જાણવા મળશે કે, આપે હિંસક બાબતને, સર્વ પ્રથમ તો આપના સુધી પહોંચવા દીધી, ત્યારબાદ એ હિંસક વિચારનુ આપે સેવન કર્યું, ત્યાર બાદ એ હિંસક વિચારના સેવનને કારણે એક માનસિક પ્રતિક્રિયા થઈ. એ પ્રતિક્રિયા થકી સૌપ્રથમ તો કોઈ ખોટા ભય ને આપ આપના કુમળા મન માં જન્મ આપો છો, ત્યારબાદ એ આભાસી ભયને નાથવા વિચારો કરો છો. જો આપમાંથી કોઈની ‘નૈતિક વ્યવ્સ્થા’ (મોરલ સિસ્ટમ) યોગ્ય રીતે રચાઈ હશે તો આપે તે આભસી ભય ને ચુટકીઓમાં ભગાડી અને પ્રસન્નતા પ્રાપ્ત કરી હશે. પણ સત્ય એ પણ છે કે આપના માંથી મોટાભાગના એ આભાસી ભયને નાથવા, એ ડર ને હટાવવા એજ જુના અયોગ્ય રસ્તાઓ તરફ વળો છો. જેમાં સૌથી પ્રખર છે એ આભાસી ‘હુમલા’ની તૈયારી. આ તૈયારીનો પ્રથમ પડાવ એટલે આભાસી રીતે ‘એક’ થવાના પ્રયત્નો કરવાં, વલખાં મારવા. ‘એક’ થવા માટે આપ તમારા મિત્રો-સગા-સબંધીઓ ને પણ એ વિચાર-હિંસક વિચારમાં ડુબાળવા વલખાં મારશો. તેમને પણ આ હિંસક વિચારના સેવન માટે લગભગ લગભગ આપ ફરજ પાડશો. અને આપ એ હિંસક આત્મા ધરાવતા લખાણ-વિડિઓઝ-પોસ્ટરને શેયર કરી આગળ વધારશો. એક સાંકળ ચાલુ થશે- આ હિંસક વિચારના સેવનની એક આભાસી સાંકળ. એક મિથ્યાભરી ‘એકતા’ને આપ કદાચ પ્રાપ્ત કરવાનો આનંદ પણ મનાવશો. આપ ખુશ થાઓ છો કે આપે ‘કોઈ’ કોમ-પક્ષ-વ્યક્તિ-વિચારધારાને આપના મિત્રો અને સગા-સબંધીઓની વચ્ચે ‘છતા’ પાડ્યાં. હવે, તેઓ પણ એ ભયથી, આભાસી ભયથી પીડાવા મંડ્યા. આપને હવે એવો અહેસાસ થવા લાગ્યો કે હવે તે બધાં આપની સાથે છે. તેવું આપને એટલે લાગે છે કે જે વોટસઅપ ગ્રુપમાં કે ફેસબુક પર આપે તે હિંસક વિચાર શેયર કર્યો હતો ત્યાંથી આપને કોઈએ પણ વિરોધ ના દર્શન ન કરાવ્યા. કોઈએ આપણને ઠપકો ન આપ્યો. કોઈએ આપણને એમ ન કહ્યું કે આવી બધી બાબતો ને ફેલાવી આપ પરીવારનું નુકશાન કરો છો. આપ અફવાઓ અને અધર્મજ વિચારોના સેવન થી ભય ને ફેલાવો છો! કોઈએ એ ન જાણ્યું કે આપના આવા વિચારોના ફેલાવાથી આપ ઉદ્વેગ માત્ર ફેલાવ્યો છે કે જેણે, માનસીક નુકશાન કર્યુ, એ બધાનું જ જેણે આ વિચારોનું સેવન કર્યુ! કોઈએ ન કરેલા વિરોધ અને આપના જ જેવા એકાદ બે આભાસી ભયથી પિડાતા વ્યક્તિઓના સાર્વજનીક સમર્થનથી અને આભાસી હુમલાની તેમના દ્વારા દર્શાવાયેલી ચિંતાથી આપને વિશ્વાસ બંધાયો કે હવે બસ સૌ આપની સાથે છે! આપને વિરોધ-ઠપકાના અભાવે સંતોષ થાય છે કે આપે શેયર કરેલ વિચારોથી સૌ અવગત થયા, સમંત થયા અને આપની સાથે થયા. આપના આભાસી ભય થી ગભરાયેલ મન ને સંતોષ થયો કે તેણે પોતાની આભાસી હુમલાની સામે સુરક્ષા માટે, જે ‘એકતા’ની જરૂર હતી, તે સાધ્ય પ્રાપ્ત કરી લીધું છે. આપના આભાસી ભયથી પિડીત ચિત્તને સાંત્વના મળી. આપના મન પર, ચિત્ત પર ઘેરાયેલા કાળાં વાદળોને દુર કરવાનો આપનો ‘રચનાત્મક’ પ્રયત્ન સફળ રહ્યો. અને આજ રીતે આપે જેને-તે લખાણો-પોસ્ટર્સ-વિડીયોઝ શેયર કર્યા, તે આગળ વધ્યા. ‘આભાસી ડર-આભાસી એકતા-આભાસી ડર’ ના આ ચક્કરમાં ન જાણે કેટલાયને ડુબાળવાનો અને હિંસક વિચારોના સેવનના નશેડી બનાવવાના આ ચોકઠામાં સમેટવાનો આ કાર્યક્રમ સફળ થયો હશે! ન જાણે કેટલી વાર આપનામાથી ઘણાં બધા કોઈ હિંસક વિચારના સેવન ને કારણે આચરાયેલા કર્મના નિમિત બન્યા હ્શો! ક્યારેક કહેવાતા રાષ્ટ્રવાદના નામે, ધાર્મિક-સામાજીક સંવાદના નામે આપને આ ખતરનાક ચોકઠામાં બેસાડવાનું એક અનાયશ કદાચ, પણ, એક ષડયંત્ર ચાલી રહ્યું છે એવો વિચાર જરૂર આવે.

આ સમગ્ર પ્રક્રિયાને એક વાર ફરીથી સમજવાની કોશિશ કરશોજી. આ પ્રકિયા ખુજ ઝડપથી આપના મસ્તિસક્માં થતી હશે. થોડા થોભજો. હવે, એક ત્રીજી વ્યક્તિ તરીકે વિચારો. આપ આપના સાક્ષી તરીકે આ સમગ્ર પ્રક્રિયાને સમજવાની કોશિશ કરો! આપે શું કર્યું? આપે હિંસા, હિંસાને બઢાવો આપતાં, હિંસાની અમર્યાદિત ચર્ચા કરતાં, આભાસી ડરને જન્મ આપતાં કોઈ વિચારોને રોક્યાં કે પછી તેના પ્રચારમાં આપ સહભાગી બન્યા? આપે કોઈ ને આપના મોબાઈલ/લેપટોપ/ કમ્યુટરનો ઉપયોગ કરી ભય પિરસ્યો કે પ્રેમ? ચકાશો! જવાબ મળે એટલે લેખની શરૂઆતમાં જણાવેલ અણુવ્રતનું ધ્યાન કરો. કોઈ સિધ્ધએ આપેલ આ અણુવ્રતના વચનોના, આદેશના સંદર્ભમાં આ પ્રકારે થતાં કર્મનો ત્રણ ઘડી વિચાર કરી લેખ આગળ વાંચશો.

‘અહિંસા’- જૈન ધર્મની પ્રથમ શપથ
જે રીતે આપણી પસંદગીની જગ્યાઓની આસપાસ ગંદગી-કચરો થતો હોય તો તેને રોકવું અને સાફ સફાઈ કરવી એ આપણી જવાબદારી છે’ જેમ આપણી પ્રાણ પ્રિય નદીઓમાં કચરો ગંદગી ન રેલાય અને તે અસ્વચ્છ થતી અટકે એ આપણી જવાબદારી છે, તેમ જ, તે જ રીતે, આપણા ચિત્તમાં આ હિંસક વિચારો સમો કુડો ન રેલાય તેની સમ્પુર્ણ જવાબદારી આપણી છે. માત્ર જવાબદારી જ નહીં, પણ જો જૈન અણુવ્રત ને આપ આપના જીવન માં કઈંક સત્તા માનતા હો, તેને કોઈ અથોરીટી માનતા હો તો તે અણુવ્રત, મહાવીર સ્વામીના, જૈન શાસનના અણુવ્રત, આપને આદેશ આપે છે કે આપ કોઈપણ પ્રકારે પોતાને, પોતાના મન-વચ-કાયાને હિંસાથી, હિંસક વિચારોથી બચાવો. ‘અહિંસા’ એ જૈન ધર્મની પ્રથમ શપથ છે. આપના સુધી હિંસક વિચારો ને ન પંહોચવા દો; ન મોબાઈલ થકી કે ન લેપટોપ થકી! તેનો મતલબ એ નથી કે આપ સોશિયલ મિડિયાનો ઉપયોગ ત્યજી દો. એનો સદ-ઉપયોગ શરૂ કરીએ કે નહીં પણ તેનો દુર ઉપયોગ અટકાવવો એ આપને જૈન અણુવ્રતો નો આદેશ છે. તે આદેશ ને સમ્માન આપતાં, એ તમામ મિત્રો-સગા-સબંધીઓને આ પ્રકારનાં હિંસક વિચારો ના પ્રચાર કરતાંની સાથે જ કરૂણા પુર્વક અટકાવી શકાય. તેમના આ કર્મનો વિનમ્રતા પુર્વક પણ દૃઢતાની પ્રતિતી સાથે વિરોધ કરી શકાય; તે આક્રોશ વ્યક્ત કરી શકાય. શેયર કરેલા એ લખાણો, વિડીઓઝને જોયા વિચાર્યા બાદ કરૂણાપુર્વકના ભાવ સાથે પણ અભય પણે ડિલીટ કરી શકાય, દુર કરી શકાય. આવા વિચારો વિશે જો થોડું પણ તાત્કાલિક ચિંતન આપને કરવા યોગ્ય જણાતું હોય તો તે ચિંતનમાં ‘કરૂણા’ ને પ્રાધાન્ય આપો. આવું પ્રાધાન્ય આપને તર્ક-સંગત અને પરિપક્વ ચિંતન તરફ દોરી જશે અને આપ આભાસી ડર થી હમેંશ દુર રહી શકશો. ઘણી વાર એ લખાણો કે વિડીયોઝ જોયા વાંચ્યા બાદ આપને જો એમ લાગે કે આવું કઈંક મારી સાથે કે મારા સ્નેહીજન સાથે થશે તો શું કરશું? તો એવી પળે પોતાના ચિત્તને એ બાબતનો વિશ્વાસ અપાવવા ભરપુર પ્રયત્ન કરજો કે આપને આપના કર્મો પર અદભુત વિશ્વાસ છે અને આથી જ કોઈ પણ અણબનાવ બનવા જોગ જ નથી. આ પ્રક્રિયાથી આપ પરિપક્વપણે ચેતી પણ જશો, આપ ભયભીત પણ નહીં થાઓ, આપના માનશ પર ‘કોઈ’ કોમ-પક્ષ-વ્યક્તિ-વિચારધારા પ્રત્યે ધ્રુણા પણ નહીં જન્મે અને આપ અભય પણ રહેશો. આ બધી પ્રક્રિયામાંથી પસાર થવા માટે એક ખુબ જ મજબુત ‘જૈન’ માનશ જરૂરી છે. આપ હિંસાના અનાયાશ પ્રચારક માંથી મટી અને જૈન અણુવ્રતને સમ્માન કરતા માનવી બનવાની તક જરૂર જળપી લેશો.

ધાર્મિક પરિદર્શ કે દેશભક્તિના પરિદર્શથી?
આ પ્રકિયા વિશે ચર્ચા કર્યા બાદ તેનો આપ સૌથી તાત્કાલિક પણે યોગ્ય ઉપયોગ ક્યાં કરી શકો તેવીકોઈ જાહેર ચર્ચા વિશે અંહી વાત કરવા જેવી જણાય છે. જેમ લેખની શરુઆતમાં જ આપને ક્યાલ આપ્યો તેના સંદર્ભમાં, થોડાક કેટલાક સમયગાળાથી એ પણ જોવા મળ્યું છે કે કહેવાતા રાષ્ટ્રવાદમાં જૈનોની આગવી લાક્ષણિક્તા ખોવાઈ રહી છે; ઠુંઠવાઈ રહી છે. કિંમતી જૈન અણુવ્રતોના અપમાન દર્શક વ્યવહાર આજકાલ એક ચલણ થઈ ચુક્યું છે. સોશિયલ મિડીયા તેમજ ઈલેક્ટ્રોનીક મિડીયા અને કેટલાક સમાચાર પત્રો થકી ઘણું બધું એવું આપને પીરસવામાં આવી રહ્યું છે કે આપ એ નક્કી નથી કરી શકતા કે પિરસવામાં આવેલ એ બાબતને આપ ધર્મના પરિદર્શથી જુઓ,ચકાશો કે પછી કહેવાતી દેશભક્તિના પરિદર્શ થી? આપના માનસ પર એક દબાણ સર્જાય છે. રોજબરોજની ક્રિયાઓમાં વ્યસ્થ આપનું માનસ ‘બહું લાંબું ક્યાં હવે વિચારવું!’ તેવી વૃત્તિથી લોભાઈ જઈ ‘વહેતી ગંગામાં (હકીકતે તો તે ગંગા નહીં કોઈ ગંદો નાલો છે.) હાથ ધોઈ લઈએ!’ તેવી વૃત્તિ અપનાવી પિરસાયેલ માલ-સામગ્રીને આગળ ધપાવો છો અને કહેવાતી દેશભક્તિના પરિદર્શથી જોઈને માનસને લોહીલુહાણ કરો છો. આવી સ્થિતિમાં આવ્યા, ઉતર્યા બાદ આપ જેમ પહેલા જણાવ્યું તેમ ‘આભાસી ડર-આભાસી એકતા-આભાસી ડર’ના ચક્રમાં ગુંટાવા મંડો છો અને જૈનિક પરિદર્શને તો બસ વિસરી જ જાઓ છો. આ વાત સ્વિકારવામાં ખચકાટ થતો હોય તો બસ એક પ્રશ્ન નો જવાબ શોધવાની કોશિશ કરી જુઓ; શું આપે આજ સુધી સોશિયલ મિડીઆ પર મુકેલા લખાણ, વિડીયો, પિક્ચરસને જૈનિક પરિદર્શથી ચકાસવાની, સમજવાની કોશિશ કરી? ‘લાઈક’ કે ‘શેયર’ કે ‘ફોર્વર્ડ’ કરતાં પહેલા તેમાં કોઈ જૈનિક તત્વની તપાસ કરી? તે સામગ્રી જોવાં, શેયર કરવાના ‘કર્મ’ ને જૈન શાસનના આદર્શોથી તોલવાની કોશિશ કરી? ખાસ કરી ને એવી સામગ્રી જેમાં કોઈ નકારાત્મકા હોય જેમ કે કોઈની અયોગ્ય ઠઠા-મસ્તી, કોઈનું અપમાન, કોઈ હિંસક વિચાર. કદાચ આ પ્રશ્નોની છણાવટ આપને અહીં કરેલી વાતો સમજવમાં વધુ સરળ અને સહજ બનાવશે.

સોસિયલ મિડીઆ પર તો હવે મોટા ભાગે કોઈને “દેશભક્ત” અથવા “દેશદદ્રોહી” કહેવાની ફેશન ચાલી રહી છે. આ પ્રકારે દરેક વ્યક્તિનું તેઓના એક-બે વિચારોને વાંચ્યા (માત્ર વાંચ્યા, સમાજવાનું તો ભગ્યે જ!) અને અપુર્ણ રીતે સમજ્યાની સાથે, વિના કોઈ સંવાદ સાધ્યે “દેશભક્ત” અથવા “દેશદદ્રોહી” તરીકેનું ચિત્રણ ખુબ જ મુર્ખતાભર્યુ અને હકીકતે પાછળથી સરમાવે એવું છે! આ સંદર્ભમાં બે ઉદાહરણો ઉલ્લેખવા યોગ્ય છે. આ બાબત સમજવા ગત વર્ષે એક ખાસ રાજકીય પક્ષ અને કહેવાતા રાષ્ટ્રવાદી તથા પ્રાંતવાદી પક્ષ દ્વારા જૈન-ધર્મ-પર્વ-સમ્રાટ પર્યુશણના દિવસોમાં સ્થાનકો બહાર મુર્ગીના માસનો હાર લગાવવામાં આવ્યો. અન્ય પક્ષો દ્વારા કોઈ ખાસ વિરોધ અને યોગ્ય પગલાં લેવા માટે તાકીદ પણ સાંભરે તેમ નથી. આ કૃત્યને, એક કૃત્ય ને નઝર અંદાઝ કરશો અને વિચાશો તો આ પક્ષો, આ લોકો આપને ઉત્તમ રાષ્ટ્રવાદીઓ જણાશે. તેમના તથા તેમની જે રાજકીય વિચારધારા છે તેને સંગત કાર્યોનો આપના માંથી કેટલાય લોકોએ 2014ની લોકસભા ચુંટણીમાં કે ત્યાબાદની સ્થાનીય ચુંટણીઓમાં ભરપુર પ્રચાર કર્યો હશે. વોટ્સએપ અને ફેસબુક, ટ્વીટર આ પ્રકારની પ્રચાર સામગ્રીથી ઉકેળા માફક છલકાઈ રહી છે. દર વખતે કોઈ અન્ય એક ખાસ દેશના કહેવાતા ભારત વિરોધી કાર્યોની જાહેરમાં ઘોર ભક્ષના અને વિરોધ કરતાં આ લોકો; સિનેમા ગૃહો માં સંસ્કૃતિ અને પૌરાણીક અસ્મિતા અને રાષ્ટ્રપ્રેમના નામે તોડફોડ, બજારબંધના કાર્યક્રમો વટભેર ચલાવતાં, આ લોકો કોણ છે? નાની નાની બાબતમાં રાષ્ટ્રભક્તિના નામે અતિ હિંસક વલણ દાખવનારા આ કોણ લોકો છે? આ લોકોને આપ ઓળખો છો? જાણે-અજાણે આપે આપના માધ્યમથી ઘણીવાર તેમનો પ્રચાર કર્યો હશે વિચારી જુજો!

પ્રથમ નજરે લાગશે કે હા, હા દેશની બાબતમાં તો હિંસક થવું પડે (જે પણ જૈનિક પરિદર્શ થી તો અયોગ્ય છે જ!), આ લોકો રાષ્ટ્રવાદી છે! પણ વિચારશો, પોતા સાથે ચર્ચા કરશો અને જાણશો કે આ જ લોકો એ જરાક બિનશાકાહારી ખાણીપીણીની બાબતોનું સમર્થન કરવાનું ચાલુ કર્યુ તો તો આપ સ્તભ્ધ થઈ ગયા! આ જ હિંસક વલણ અપનાવેલી વાત તો હવે આપના દેરાંઓ અને સ્થાનક સુધી પંહોચી ગયી! છે ઇચ્છા કે તાકત આ હિંસક વૃત્તિનો સામનો જૈન ધર્મની પરિઘીમાં રહી ને કરવાની? આપણાં આવા અજાણ્યા પોશણ થી તો આ હિંસક વૃત્તિને જાહેર જીવન માં સ્થાન માળ્યું છે! હા, આપના દ્વારા કોઈ પણ બાબત પર હિંસક વલણ ધરાવતા લોકો, તેમના કાર્યો વગેરેનો વિરોધ ન થયો, ક્યારેય ન થયો અને ઉલટું આપે તો મતો અને પ્રચારો કરી કરી, તે વૃત્તિ ધરાવતાં લોકો પર મહોર મારી કે, ના, આપ જે કઈં જે રીતે કરો છો તે તો શ્રેષ્ઠ છે! બિનશાકાહારી ખાણીપીણીની બાબતોનું સમર્થન કરવાનું ચાલુ થયું તો આ જ આપણી વચ્ચે ના લોકો આદત પ્રમાણે ગાળો ભાંડવા મંડ્યા. કેમ હવે તેઓ દેશ ભક્ત નથી? તેઓ હવે મત આપવા લાયક નથી! આ લોકો જ્યારે બીજી જાતિ ધર્મના લોકો પર પોતાના હિંસક વિચારોનો મારો ચલાવે છે ત્યારે ખુશી ખુશી તે વિરોધ માં ભાગ લેતા ઘણા જૈન બંધુ અને અન્યો મળે છે. જો ત્યારે જ એ બાબત નો, રાજકીય વિચારધારા-પ્રપંચ નો વિરોધ કર્યો હોત તો કદાચ આ પ્રકારના પક્ષો એટલા મજબુત જ ન થયા હોત કે જાહેરમા કોઈ જાતિ ધર્મ નો આવો મુર્ગી હાર થી વિરોધ કરી શકે, મારી નાખવાની કે દેશ બહાર કાઢી મુકવાની વાતો કરે! મુદ્દો સમજો. મુદ્દો એ છે કે કઈ બાબત પ્રત્યે ‘હિંસક વલણ’ અપનાવે છે એ મહત્વનું નથી, પણ એ મહત્વનું અને ધ્યાન અપાવા જેવું જે કે કોઈ પણ, કોઈ એક પણ બાબતના સંદર્ભમાં ‘હિંસક વલણ’ અપનાવવામાં આવ્યું. બાબત તો ગૌણ છે, ‘હિંસક વલણ’ જ વિચાર માંગી લે તેમ છે.

બીજા કિસ્સામાં અભિનેતા શ્રી રિશી કપુરને જે-તે સમયે બિનશાકાહારી ખાણીપીણીના સમર્થક તરીકે જોઈ ઘણાં બધાંએ તેમને સોશિયલ મીડીયા પર “દેશદ્રોહી” જાહેર કર્યા હતા. હાસ્યાસ્પદ છે. પણ હાલ માં જ એમણે બસ એક કહેવાતા રાજકીય પરિવારના સભ્યોના નામો પર જાહેર જગ્યાઓના નામકરણ સામે વિરોધ દર્શાવ્યો તો તરત જ સોશિયલ મિડિયા દ્વારા તેમને “દેશભક્ત”ના ઈલ્કાબ થી સન્ન્માનિત કરવામાં આવ્યા! હકીકતે આ હાસ્યાસ્પદ જાહેર જીવન ના નમુનાઓ નું કામ શરમાવે તેમ છે!

“સોશિયલ સોપારી”- લડાયક વ્યક્તિ-પક્ષ-સંગઠન અને ‘ટાર્ગેટ’
વાત એ નથી કે કોઈ વ્યક્તિના કોઈ વિચારો કેવા છે; આપણને ગમતા છે કે નથી? એ ગમતા હોઈ પણ શકે અને ન પણ. વાત એ છે કે ગમતાં વિચારોનું સમર્થન અને ન ગમતાં વિચારોનો વિરોધ આપણે કઈ રીતે કરીએ છીએ. આપણે ઉન્માદમાં આવીને કોઈ એક-બે વિચારો નુ સમર્થન કઈંક એવી રીતે તો નથી કરતાં ને કે એ સમર્થન ના કારણે કોઈ વ્યક્તિ-પક્ષ-સંગઠન ને એમ થાય કે એના બધાં, વિચારો, હિંસક વિચારો સહિત, બધાં વિચારો ને સમાજમાં ભરપુર સ્વિકાર્યતા હાંસલ છે. એને એમ તો નથી થતું ને કે એ સર્વમાન્ય છે! એને એમ તો નથી જણાતું ને કે, એના જ વોચારો યોગ્ય છે! એ વ્યક્તિ-પક્ષ-સંગઠનને ધીમે ધીમે એમ તો નથી લગતું ને કે, તેને હવે બીજાં કોઈ ને સાંભળવાની જરૂર નથી, તે બસ તેના આ વિચારોથી ચાલી ને બધું સર કરી લેશે! એ એમ તો નથી માની લેતી ને કે, આવા વિચારો ને મળતા સમર્થન થી એ કોઈ જતિ કે ધર્મ વિષેશના માનવોને હાની પંહોંચાડી શકશે! એને આ અદભુત, નિર્વિરોધ સમર્થનથી ક્યાંય કોઈ ધર્મ જાતિ વિશેસ ના લોકો અને વિચારોને માટે ‘લાઈસેંસ ટુ કિલ’ મળી ગયું, એમ તો નથી થતું ને! એક બાજું કોઈ પ્રકારના “હિંસક” વિચારોને માન્યતા અને બીજી બાજુ આ જ સમાજ દ્વારા કોઈ ને દેશ દ્રોહી જાહેર કરવાની ઉત્સુક્તા! એક બાજુ કોઈ ને આપ તૈયાર કરી બેઠાં- એક લડાય વ્યક્તિ-પક્ષ-સંગઠન-એક ‘સુટર’ તરીકે જેને આપે એક આભાસી ‘લાઈસેંસ ટું કીલ’ આપ્યું, બીજી બાજું વિરોધોના વંટોળ માં કોઈ ને દેશદ્રોહી જાહેર કરી ને એ લડાયક વ્યક્તિ-પક્ષ-સંગઠનને એક ‘ટારગેટ’ આપી દિધું, એક લક્ષ્ય આપી દિધું! આને કેવાય ખુલ્લેઆમ ‘સોપારી’ આપવી. આ સામાજીક સોપારી છે- સોશિયલ સોપારી. આ ‘સોપારી’ની અસર પુરી થઈ ગયા બાદ જ ખ્યાલ આવે. દેવા વાળાને પણ પછી ખબર પડે કે હા, હું પણ બધાં માથી એક હતો આ સોપારી દેવામાં. થોભીને વિચારજો કે સ્થાનકોની બહાર મર્ગીના માસના હાર ના કિસ્સામાં આપ જ એ ‘ટારર્ગેટ’ બની ચુક્યા છો, અજાણ્યે કદાચ! 

વજ્રાસ્ત્ર- છુપાયેલો ઉપાય- મહાવીરની વાત અને કંટકો
કોઈ વ્યક્તિને “દેશદ્રોહી”નું લેબલ લગાડવાંમાં આપણું માનશ ખુશ કેમ થાય છે? આવું માનસ શા માટે? આપણે સ્વાભાવિક પણે આપણને ન ગમતા વિચારોનો વિરોધ કરીએ. કોઈ એ વિચાર રજુ કર્યો જેમ કે બિનશાકાહારી ખાણીપીણીની બાબતોનું સમર્થન, કોઈ એ વિચાર રજુ કર્યો તે પણ હિંસક, વિચાર રજુ કર્યાની રીત પણ હિંસક, વિચાર પણ હિંસક, તેનો પ્રતિરોધ પણ હિંસક અને પ્રતિરોધ કરનારનું માનસ પણ હિંસક; હિંસક વિચારોથી ભલે ને ઘડી-બે ઘડી પણ ભીંજાય તો છે જ એ માનસ; એ વારંવાર હિંસક વિચારોના સેવનથી આપનું માનસ હિંસક વિચારો વચ્ચે ઉછરી રહ્યું છે! કોઈ ખાસ વ્યક્તિ, વ્યક્તિઓ, રાજકીય કે કહેવાતા સાંસ્કૃતિક સંગઠનો કદાચ આપના જૈન મુલ્યોની સમજ નહીં રાખતું હોય પણ આપ તો જાણો છો; કોઈ પણ વિચાર હોય, ગમે તેટલો હિંસક હોય, તેનો સામનો કેમ કરવો તે શિખાડવા માટે તો કદાચ કોઈ ચિત્રકારે “શ્રી મહાવીર સ્વામીના કાનમાં કંટકો ખોંસતા એ વ્યક્તિ”ને દર્શાવતું દર્શ્ય આપણાં સમક્ષ પ્રસ્તુત કર્યું છે. આ દર્શ્યને યાદ કરો અને સમજો કે ‘જૈન સમાજ અને આ દેશ’ માનવતાના પ્રખર સમાનાર્થી એવાં, અહિંસાનું ધ્યાન કરતાં મહાવીર સ્વામી છે અને ‘કાનમાં કંટકો ખોંસતા એ વ્યક્તિ’ એ હિંસક વિચારોનુ સેવન કરતાં, ફેલાવતાં રાજકીય પક્ષો કે કહેવાતા સાંસ્કૃતિક સંગઠનો છે. કોઈ કેટલીય કોશિશ કરે એ કંટકો ખુંચવવાની, ધ્યાન-ચિત્ત-મહાવીર-સમાજ તેનાથી પોતાની અહિંસા કેંદ્રિત જીવન યાત્રાને ખલેલ ન પહોંચાડે. સોશિયલ મિડિયા તેમજ રોજબરોજ ના જીવન માં જ્યારે આપ હિંસક વિચારો પ્રત્યે કંઈ પણ પ્રતિક્રિયા આપો છો ત્યારે આપ એ ‘કાનમાં કંટકો ખોંસતા વ્યક્તિ’ને જીતાડો છો અને ધ્યાન તુટવાને કારણે અહિંસાનું ધ્યાન કરતાં મહાવીર સ્વામીને કારમી પરાજય અપાવો છો! તે રોકીએ, મહાવીર ને હારતાં રોકીયે. જાહેર અને ખાનગી જીવનમાં ખાસ કરીને વિચારોના સમુદ્ર્માં અહિંસાના ચિંતનને સાગરખેડુ બનવા દઈએ. હિંસક વિચારોનુ સેવન કરતાં, ફેલાવતાં રાજકીય પક્ષો કે કહેવાતા સાંસ્કૃતિક સંગઠનોથી દુર રહીએ.

‘જે લોકોએ પોતાની જાત પર વિજય પ્રાપ્ત કરી છે તેમનું સમ્માન’ 
(ટુંકમાં) જય જીનેંદ્ર અને અનુમોદના!
(નોંધ: આ લેખ સામાયિક 'મંગલ મંદિર'ના સપ્ટેમ્બર 2016ના અંકમા પ્રકશિત થયેલ છે.)

લેખક:
રાજન ડી. મોરબીઆ
યોજના નિષ્ણાત (ક્ષેત્રિય યોજના)
ઈજનેરી સ્નાતક (સિવિલ ઈજનેરી)

No comments:

Post a Comment